સૌરાષ્ટ્રના મહાનગર તથા રાજકીય કેન્દ્ર મનાતા રાજકોટ સિટીમાં આવતીકાલે મુખ્યમંત્રી મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓની ધમધમાટ શરૂ થઈ ગયો છે. અનેક કાર્યક્રમો વચ્ચે મુખ્યમંત્રીનો રોડ શૉ ચર્ચામાં છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર રોડ સુધીના રસ્તા પર માણસોને ભેગા કરવા માટે ભાજપના કાર્યકર્તા તથા નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એવામાં હવે રાજકોટ કોંગ્રેસે જણાવ્યું છે કે,રાજકોટ સહિત આખા ગુજરાતમાં કોવિડની ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે.

એવામાં હવે જવાબદાર નેતાઓ બેજવાબદાર બને તો સામાન્ય લોકોને મુશ્કેલી પડશે. ભીડ ભેગી ન કરવાની સલાહ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં મોટા તાયફા કરે તો એમને રોકનાર કોણ? કારણ કે સરકાર પણ ભાજપની છે. નિયમો પણ બનાવે છે અને તોડે તો કોઈ કાર્યવાહી પણ થતી નથી. સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ દંડે છે. રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શૉને લઈને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે. શુક્રવારે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રેસકોર્ષથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે. રોડ શૉના આ રૂટમાં નો પાર્કિંગ જાહેર કરાયું છે. હવે આ રસ્તા પર જે લોકોની ઓફિસ કે દુકાન આવેલી એમને મુશ્કેલી પડશે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય થાય એ માટે કોઈપણ પ્રકારના વાહનોને પ્રવેશબંધી કરવામાં આવી છે. સરકારે જ ભીડ એકઠી ન કરવા નિયમ તૈયાર કર્યા હવે પોતે જ ટાર્ગેટ આપીને ભીડ ભેગી કરે છે. હવે ખુલ્લેઆમ નિયમ તોડશે એવું રાજકોટ કોંગ્રેસનું કહેવું છે. છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના કેસ નોંધપાત્ર રીતે વધ્યા છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ કરતા રાજકોટમાં કેસ વધુ છે. અઠવાડિયાના અંતે કેસ બમણા થાય છે. પૂર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં ત્રણ મહિના બાદ રોડ શૉ માટે રસ્તા બંધ કરાવાશે.

જાહેરનામા અનુસાર જૂના એનસીસી બિલ્ડિંગ, મેયર બંગલો, કિસાનપરા, રેસકોર્ષ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ સુધીના રૂટ પર મુખ્યમંત્રી રોડ શૉ કરશે. જેમાં વૉર્ડદીઠ ભાજપના 2400 કાર્યકર્તાઓ, એરપોર્ટ પર 1800 કાર્યકર્તા તથા પોલીસનો સ્ટાફ તહેનાત રહેશે. આ સિવાય કેટલીક કૉલેજને પણ ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. વાહન વ્યવહાર બંધનું જાહેરનામુ કડકપણે ફોલો કરાશે. આ પહેલા મુખ્યમંત્રીના રોડ શૉનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે એ રાજકોટના મુખ્ય માર્ગ છે. મોટાભાગના લોકો અહીંથી પસાર થતા હોય છે.

બંધ થયેલા રૂટ
એનસીસી બિલ્ડિંગ,
મેયર બંગલો,
કિસાનપરા,
રેસકોર્ષ રિંગ રોડ,
જિલ્લા પંચાયત ચોક,
યાજ્ઞિક રોડ,
હરિભાઈ હોલ
હેડક્વાર્ટર રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફ જવા જામનગર રોડ,
ભોમેશ્વરથી સાંઢિયાપુલ
શીતલ પાર્ક થઈને રૈયા રોડ આમ્રપાલી અન્ડરપાસ
વૈકલ્પિક રસ્તા
રૈયા રોડ પર આઝાદ ચોકથી કાલાવડ રોડ થઈ ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક થઈ ત્રણ ચાર કિ.મી.નું વધારે અંતર કાપીને જવાનું ડાઇવર્ઝન
ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક તરફ જઈ શકશે.
આ વાહનચાલકોએ છેક જિમખાના રોડથી ટાગોર રોડ થઈ ભીલવાસ તરફ જઈ શકશે

