સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને ભિક્ષુક તથા માનસિક અસ્થિર લોકોથી મુક્ત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વેરાવળ અને પાટણ નગર પાલિકાએ સંયુક્ત રીતે એક અભિયાન શરૂ કર્યું હતું. જેમાંથી એક અસાધારણ કહી શકાય એવી વ્યક્તિઓ જોવા મળ્યા હતા. જે આમ તો સરકારી કર્મચારી હતા. પણ હાલ તેઓ સોમનાથ પરિસમાં ભીખ માંગી રહ્યા હતા. રૂ.30,000થી વધારે સરકારી પેન્શન મેળવતા લોકો ભીખ માગીને જીવન ગુજારતા હોવાનું ધ્યાને આવ્યું છે.

આ મામલે વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પીયુષ ફોફંડીએ કહ્યું હતું કે, સોમનાથ ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક રીતે અસ્થિત લોકોથી મુક્ત કરવા માટે એક અભિયાન ચાલું કર્યું છે. જેમાં સુરક્ષિત રીતે એમને ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકોને નગરપાલિકાના શેલ્ટર હોમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ચારથી પાંચ વ્યક્તિઓ માનસિક રીતે અસ્થિર છે. ટોલનાકા પાસે આવેલા નિરાધારના આશ્રમમાં કેટલાક લોકોને રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની પ્રાથમિક જરૂરિયાત સચવાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. ભિક્ષુકો રહેવા માટેની વ્યવસ્થા છે. સ્નાન તથા ચા-પાણી માટેની પણ વ્યવસ્થા છે. આ સિવાય બે ટંકનું જમવાનું અને રાત્રે સૂવા માટે ધાબડા પણ આપવામાં આવ્યા છે. આ ભિક્ષુકોની યાદીમાં બે સરકારી કર્મચારીઓ છે. જે નિવૃતિ બાદ ભીખ માગી રહ્યા છે. જેમના માસિક પેન્શન રૂ.30,000થી વધારે છે. તેમ છતાં તેઓ ભીખ માગતા જોવા મળ્યા હતા. જોકે, શિયાળું સીઝન આવતા નાના જિલ્લાઓમાં પણ આ પ્રકારની પ્રવૃતિ કરવામાં આવે છે.

પણ સોમનાથ જેવા તીર્થસ્થળો પર પ્રવાસીઓને તથા ભાવિકોને કોઈ રીતો ભીક્ષુકો પરેશાન ન કરે એ હેતું એમને ખસેડાઈ રહ્યા છે. જ્યારે નાના શહેર જિલ્લાઓમાં શિયાળો આવતા જ સેવાભાવી સંસ્થાઓ આવા લોકોને ધાબડાનું વિતરણ કરે છે. પણ સૌથી વધારે ચર્ચામાં રહેતો મુદ્દો એ છે કે, એક સરકારી નિવૃત કર્મચારી અહીં ભીખ માગી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ ખાસ કારણ જાણવા મળ્યું નથી.

