ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિતોમાંથી એક નલિની શ્રીહરનને રાજ્ય સરકારે તેની બીમાર માતાના અનુરોધ પર એક માસની પેરોલ આપી છે. તમિલનાડુ સરકારે ગુરુવારે મદ્રાસ હાઈકોર્ટને આની જાણકારી આપી છે. તમિલનાડુ સરકારે ગત વર્ષ ફેબ્રુઆરીમાં મદ્રાસ હાઈકોર્ટને સૂચિત કરી હતી કે રાજ્યએ રાજ્યપાલને રાજીવ ગાંધી હત્યાકાંડના તમામ સાત દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે નલિની ગત બે દશકથી વધુ સમયથી આજીવન કેદની સજા કાપી રહી છે.
નલિની સિવાય આ મામલામાં દોષિત ઠરેલા અન્ય ગુનેગારોમાં તેનો પતિ મુરુગન, સુથિનથિરા રાજા ઉર્ફે સંથાન, એજી પેરારીવલન, રોબર્ટ પાયસ, જયકુમાર અને રવિચંદ્રન સામેલ છે. દોષિતોમાં ચાર- શ્રીહરન, સંથાન, રોબર્ટ, પાયસ અને જયકુમાર શ્રીલંકાના નાગરિકો છે. નલિનીએ ગત વર્ષ પોતાના એક સહકેદી સાથે કથિતપણે ખુદને મારવાની ધમકી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નલિની અને એક અન્ય દોષિતને વેલ્લારમાં મહિલાઓના સ્પેશયલ સેલમાં રાખવામાં આવ્યા છે. આજીવન કેદની સજા કાપી રહેલા એક દોષિતે જેલને આના સંદર્ભે ફરિયાદ કરી હતી.
આ તમામ દોષિતોને ટાડા કોર્ટે 21 મે, 1991ના રોજ રાજીવ ગાંધી હત્યામાં તેમની ભૂમિકાને લઈને દોષિત માનીને ફાંસીની સજા આપી હતી. બાદમાં ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે રાજીવ ગાંધીની એલટીટીઆઈના સુસાઈડ બોમ્બરે ચેન્નઈની નજીકના શ્રીપેરંબુદૂરમાં એક ચૂંટણી સભા દરમિયાન હત્યા કરી હતી.

