ટંકારા તાલુકાના નેકનામ ગામે વ્યાજખોરીનો ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાની હોટલ ચલાવતા 46 વર્ષીય આધેડે દીકરા-દીકરીના લગ્ન તેમજ મકાનના રિનોવેશન માટે લીધેલી રૂ.29.70 લાખની રકમ સામે અત્યાર સુધીમાં રૂ.2.05 કરોડ ચૂકવ્યા હોવા છતાં વધુ રૂ.50 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ઉપરાંત રકમ નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાના કારણે આધેડે કંટાળીને ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગતો મુજબ નેકનામ ગામે રહેતા અને ચાની હોટલ ચલાવતા લિંબાભાઈ માંડાભાઈ લામકા (ઉં.વ. 46)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, દીકરા-દીકરીના લગ્ન તથા મકાનના રિનોવેશન માટે તેમણે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા પાસેથી રૂ.29.70 લાખ 20 ટકા વ્યાજે લીધા હતા.
ફરિયાદ મુજબ, લીધેલી રકમના બદલામાં લિંબાભાઈએ અત્યાર સુધીમાં રૂ.2.05 કરોડ જેટલી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં રાજેન્દ્રસિંહ ઝાલા અને વિક્રમસિંહ રાજુભા ઝાલા દ્વારા વધુ રૂ.50 લાખ ચૂકવવાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે માંગેલી રકમ નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. સતત માનસિક ત્રાસ અને ઉઘરાણીથી કંટાળીને લિંબાભાઈએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ટંકારા પોલીસ દ્વારા ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

