મોરબી: શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રી જબલપુર પ્રાથમિક શાળા, પીએમશ્રી ગુજરાતના શિક્ષક જશવંતભાઈ ચાવડા અને ભાષા શિક્ષિકા જીજ્ઞાસાબેન ગાદોયાને તાલુકા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ સન્માન મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે તથા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
જશવંતભાઈ ચાવડા દ્વારા શાળામાં વિદ્યાર્થી કેન્દ્રિત અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે. નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ, સર્જનાત્મક કાર્યો તથા સામાજિક વિજ્ઞાનના પ્રયોગાત્મક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થકી બાળકોમાં સર્જનાત્મકતા, નેતૃત્વ, આત્મવિશ્વાસ, સહકારની ભાવના અને જીવન કૌશલ્યો વિકસે તે માટે વિશેષ કાર્ય કરવામાં આવે છે.
શાળામાં આનંદદાયક વાતાવરણ ઊભું કરી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા તથા તેમના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા સતત પ્રયાસોની કદરરૂપે આ સન્માન પ્રાપ્ત થયું છે. ભાષા શિક્ષિકા જીજ્ઞાસાબેન ગાદોયા પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કલા મહાકુંભ સહિતની ગુજરાત રાજ્યની વિવિધ યોજનાઓમાં વિદ્યાર્થીઓને બહોળા પ્રમાણમાં ભાગ લેવડાવી તેમની સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા તેઓ પ્રયત્નશીલ રહે છે. શાળાના પ્રવાસ-પર્યટનના આયોજનમાં પણ તેઓ જવાબદારીપૂર્વક કામગીરી નિભાવે છે.
અંગ્રેજી અને હિન્દી જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનો રસ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ તથા પોતાની આગવી શિક્ષણશૈલીનો ઉપયોગ કરી તેઓ બાળકોમાં વિષય પ્રત્યે રુચિ કેળવવાનું કાર્ય કરે છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, એસ.એમ.સી. સભ્યો, શિક્ષકમિત્રો, ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સમગ્ર શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. બંને શિક્ષકમિત્રોને સર્વે તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

