માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં ફોન પર થયેલી બોલાચાલીના મામલે ભાઈ-બહેન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિતે ત્રણ લોકો વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, માળીયાના ખાખરેચી ગામે રહેતા રાજુભાઈ બાબુભાઈ રાઠોડે ગામના જ ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડ, પુનમબેન ધનજીભાઈ રાઠોડ અને સતીષ ધનજીભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, ધનજીભાઈએ રાજુભાઈને ફોન કરતા બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતનો મનદુઃખ રાખી આરોપીઓએ રાજુભાઈને ઘર બહાર બોલાવ્યા હતા. રાજુભાઈ બહાર આવતા આરોપીઓએ તેમના પર હુમલો કરી ગાલ પર પાંચથી છ તમાચા માર્યા હતા. તેમજ રાજુભાઈના બહેન સોનુબેનને પણ આરોપીઓએ વાળ પકડી જમીન પર પછાડી દીધા હતા. ત્યારબાદ બંને ભાઈ-બહેનને લાકડાના ધોકા વડે માર મારી અપશબ્દો બોલ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

