ટંકારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી સવાલો ઊભા થયા છે. શહેરના દયાનંદ હોસ્પિટલ નજીક જાહેર માર્ગ પર રાત્રિના સમયે બનેલી ચેઈન સ્નેચિંગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ કલ્યાણપર ગામના વતની અને હાલ ટંકારાની લક્ષ્મીનારાયણ શેરી નં. 5 ખાતે રહેતા તેમજ વેપાર સાથે સંકળાયેલા જયેશભાઈ અવચરભાઈ વાધરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, રાત્રિના સમયે તેમની પત્ની જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડબલ સવારીમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની રેકી કરી હતી. આ દરમિયાન મોટરસાયકલ પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાં પહેરેલી અંદાજે એક તોલા વજનની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ ચેઈનની કિંમત અંદાજે રૂ. 63,900 હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના બનતા જ બંને આરોપીઓ મોટરસાયકલ પર પલાયન થઈ ગયા હતા.
આ બનાવ અંગે જયેશભાઈ વાધરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

