આગળની ખુરશીઓમાં ભાજપના કોર્પોરેટર કાર્યકરો ખડકાયા જેમના માટે કાર્યક્રમ હતો તેઓને પાછળ છોડી દીધા.
એક તરફ શિક્ષિત બેરોજગાર યુવાનો તેમના પ્રશ્નોને લઈ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં યુવાનોના હિતેચ્છુ હોવાના સ્વાંગ રચતી સરકાર રોજગાર મેળાના તાયફા કરી રહી છે જોકે આ તાયફામાં પણ બેરોજગાર યુવાનો હાંસિયામાં ધકેલાયા હોય તેવા દ્રશ્ય મોરબીમાં જોવા મળ્યા હતા.
મોરબીમાં આજે રોજગાર કચેરી દ્વારા ઉમા ટાઉનશિપ ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે જોબ ફેર કમ એપ્રેન્ટિશિપ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્ય મંત્રી કાંતી ભાઈ અમૃતિયા, સાંસદ પરશોતમ રૂપાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબીના મેયર અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ રોજગાર મેળામાં તંત્ર જાણે આ નેતાઓની આગતા સ્વાગતામાં વ્યસ્ત હોય તેમ જે બેરોજગાર યુવાનો માટે કાર્યકમ આયોજન કર્યું તેની ઉપેક્ષા કરી હોય તેમ લાગી રહ્યું હતું કારણ કે, તમામ અધિકારી અને પદાધિકારીઓ સ્ટેજ પર ઍર કૂલર સામે ગોઠવાઈ ગયા હતા અને મોટી મોટી વાતો કરી હતી. બીજી તરફ વિધાર્થીઓ આકરી ગરમીમાં પરસેવે રેબઝેબ થતા જાણે પરાણે તેમના ભાષણ સાંભળવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ખુદ ભાજપના કોર્પોરેટર અને કાર્યકર આગળ ખુરશી પર ગોઠવાઈ ગયા હતા અને નેતાજીની વાતોમાં તાળીઓ પાડી તેમને ખુશ કરવાના પ્રયાસ કર્યા જ્યારે જેમનો કાર્યકમ હતો તેમને પાછળ ધકેલી દેવાયા હતા. જેના કારણે વિધાર્થીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.

