માળિયાના નાના દહીંસરા ગામમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગામના રહેવાસી અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા ગજેન્દ્રભાઈ પ્રવિણભાઈ ભાડજાએ માળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સે મંદિરનો પ્રવેશ મેળવી માતાજીને અર્પણ કરાયેલા ચાંદીના 13 નાના-મોટા છત્તરોની ચોરી કરી લીધી હતી.
ચોરી થયેલા ચાંદીના છત્તરોની અંદાજિત કિંમત રૂ. 40 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં માળિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અજાણ્યા ચોરને ઝડપી પાડવા તેમજ ચોરી થયેલા મુદ્દામાલની શોધખોળ માટે વધુ તપાસ શરૂ કરી છે.

