મોરબીમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી પ્રી-મોન્સૂન કામગીરીની શનિવારે મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને દંડક જયેશભાઈ દેસાઈએ કુબેર નવલખી ફાટક વિસ્તારમાં અચાનક મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. પદાધિકારીઓએ સ્થળ પર પહોંચી વોંકળાની સફાઈ, પાણીના નિકાલની વ્યવસ્થા અને કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન વોંકળામાંથી કાઢવામાં આવેલો કચરો અને માટી સ્થળ પર જ પડ્યા હોવાનું સામે આવતા મેયરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તેને તાત્કાલિક ડમ્પિંગ સાઇટ પર ખસેડવા સૂચના આપી હતી. વરસાદી પાણી સાથે કચરો ફરી વોંકળામાં ન વહી જાય અને સફાઈ કામગીરી અસરકારક રહે તે માટે જરૂરી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ સફાઈ કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. કામમાં બેદરકારી નહીં રાખવા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.
મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોની સુવિધા મહાનગરપાલિકાની પ્રથમ પ્રાથમિકતા છે અને ચોમાસામાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રી-મોન્સૂન કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વરસાદી સીઝન દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

