હળવદ તાલુકાના આશરે ૪૦ ગામો, હળવદ શહેર અને જામનગર-દ્વારકા જિલ્લાના નાગરિકો તેમજ પશુધન માટે જીવાદોરી સમાન બ્રાહ્મણી-૨ ડેમમાં પાણીનો જથ્થો ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. હાલની કાળઝાળ ગરમી વચ્ચે ડેમમાં હવે માત્ર ૨ થી ૩ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહેતા સમગ્ર પંથકમાં કરુણ સ્થિતિ સર્જાઈ છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અધિકારીઓ તેમની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે.
આ બાબતે ધ્રાંગધ્રા- હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પાણી પુરવઠા અધિકારી ઈશ્વર સિંહ પટેલને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું સ્થાનિક કચેરીના પત્ર વ્યવહાર મુજબ અગાઉ નર્મદા નિગમને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ મારફત પાણી છોડવા વિનંતી કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. દર વર્ષે ડેમ ખાલી થવાની અણી પર હોય ત્યારે જ તંત્ર જાગે છે, જે પાણી પુરવઠા વિભાગ અને નર્મદા નિગમ વચ્ચે પૂર્વ-આયોજન અને સંકલનનો ગંભીર અભાવ દર્શાવે છે. વધુમાં, સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ડેમમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં, પાણી પુરવઠા વિભાગની ટેકનિકલ ક્ષતિઓને કારણે તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી.
સ્થાનિકો દ્વારા મુખ્ય માંગણીઓ: સમગ્ર વિસ્તારના નાગરિકો, ખેડૂતો અને પશુધનના હિતમાં સરકાર સમક્ષ નીચે મુજબની તાકીદની માંગણીઓ કરવામાં આવી છે:
-
તાત્કાલિક નર્મદાનું પાણી: ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ મારફત બ્રાહ્મણી-૨ ડેમમાં તાત્કાલિક નર્મદાના નીર છોડવામાં આવે.
-
અધિકારીઓ સામે પગલાં: જનતાને હાલાકીમાં મૂકનાર જવાબદાર અને બેદરકાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય.
-
ટેકનિકલ સુધારા: ડેમના ઉપલબ્ધ પાણીનો પૂરો ઉપયોગ થઈ શકે તે માટે આધુનિક ટેકનોલોજી અને સ્થાયી ઉકેલ અમલમાં મૂકવામાં આવે.
-
ભવિષ્યનું આયોજન: આગામી સમયમાં આવી કટોકટી ફરી ન સર્જાય તે માટે પાણી વ્યવસ્થાપનનું કડક મોનિટરિંગ અને પૂર્વ-આયોજન કરવામાં આવે.

