હળવદ તાલુકાના ધુળકોટ ગામમાં આવેલ શક્તિ માતાજી મંદિર ખાતે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો દ્વારા મંદિરના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી કુલ રૂ. ૭૫ હજાર જેટલો મુદ્દામાલ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ધુળકોટ ગામના રહેવાસી અર્જુનસિંહ હરભમજી જાડેજાએ હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તા. 17 માર્ચ 2026ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યાથી તા. 18 માર્ચ 2026ની વહેલી સવારે અંદાજે 6:15 વાગ્યા વચ્ચે તસ્કરો શક્તિ માતાજી મંદિર પરિસરમાં ઘૂસી આવ્યા હતા. ચોરોએ મંદિરની અંદરથી જુદા-જુદા કદના આશરે 70 જેટલા જૂના ચાંદીના છતર તેમજ એક મુગટની ચોરી કરી હતી. આ ચાંદીના આભૂષણોનું કુલ વજન અંદાજે દોઢ કિલો જેટલું હોવાનું અને તેની કિંમત રૂ. 45,000 જેટલી ગણાવવામાં આવી છે.
આ ઉપરાંત તસ્કરો દ્વારા સોનાના આશરે 10 નાના-મોટા છતર અને 2 ટીલડી, જેનું વજન અંદાજે એક તોલો થાય છે, તેની પણ ચોરી કરવામાં આવી હતી. આ સોનાના આભૂષણોની કિંમત આશરે રૂ. 30,000 હોવાનું જણાવાયું છે. આમ અજાણ્યા તસ્કરો કુલ રૂ. 75,000 જેટલા મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે હળવદ પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરોને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

