ચોટીલા ડુંગર પરિક્રમા: 22 માર્ચે ધાર્મિક કાર્યક્રમનું આયોજન, સંતોનું સાનિધ્ય અને મહાપ્રસાદની વ્યવસ્થા
ચોટીલા: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આગામી 22 માર્ચ 2026, રવિવારે ચોટીલા ડુંગર પરિક્રમાનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સવારે 8.30 વાગ્યે ડુંગર તળેટીમાં આવેલ નવગ્રહ મંદિરે યોજાનારી ધર્મસભાથી શરૂ થશે. આ પ્રસંગે સર્વે સનાતન ધર્મના ભાઈ-બહેનોને પરિવાર સાથે હાજરી આપી ધર્મલાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
છેલ્લા પાંચ વર્ષથી ચૈત્રી નવરાત્રીના પ્રથમ રવિવારે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે આ પરિક્રમામાં સવા લાખથી વધુ માયભક્તોએ એક જ દિવસે ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. આ વર્ષે યોજાનારી ધર્મસભામાં જગતગુરુ 1008 ગર્ગાચાર્ય મહારાજ પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ પ્રેરક ઉપસ્થિતિ આપશે. ઉપરાંત માર્ગદર્શક સંતોમાં પ.પૂ. આત્માનંદ સરસ્વતી (બોટાદ), પ.પૂ. શંભુનાથજી ટૂંડીયા (ઝાંઝરકા), પ.પૂ. પ્રેમબાપુ (સતરંગની જગ્યા), પ.પૂ. મનસુખ ગીરીબાપુ (ચોટીલા ચામુંડા માતાજી મંદિર મહંત પરિવાર), પ.પૂ. વાલજી ભગત (ઠાકર ની જગ્યા, કાળાસર), પ.પૂ. ભરતબાપુ ખાચર (લોમેવધામ ધજાળા) અને પ.પૂ. કાશીગીરીબાપુ (બોરીયા નેસ) સહિતના સંતો ઉપસ્થિત રહેશે.
પૂજનીય સંતોના આશીર્વચન બાદ પરિક્રમાની શરૂઆત કરાવવામાં આવશે. પરિક્રમાનો કુલ રૂટ આશરે સાડા પાંચ કિલોમીટરનો રહેશે, જે ભક્તો પગપાળા અંદાજે બે કલાકમાં પૂર્ણ કરી શકશે. પરિક્રમા પૂર્ણ થયા બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. હરેશબાપુ શ્રવણ, ગુરુ ધીરુભાઈ શ્રવણ તથા રામકૃપા અન્નક્ષેત્ર, મુ. દૂદાપુર, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરના સહયોગથી ભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રના ભક્તજનોને ઉપસ્થિત રહી પરિક્રમાનો લાભ લેવા માટે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે.

