મોરબીના નવલખી રોડ પર આવેલી ઇન્ડિયા ચાઇનીઝ ફૂડ દુકાન પાસે ઝઘડાની ગંભીર ઘટના સામે આવી છે. વીસીપરા મદીના સોસાયટીમાં વસવાટ કરતા અને મૂળ મહારાષ્ટ્રના કલ્યાણપુરના રહેવાસી મનોજભાઈ રામભાઈ રાજપૂત દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, 15 જાન્યુઆરીના સાંજના સમયે GJ-36-V-8247 નંબરની બોલેરો કારનો ચાલક સાહિલ તથા તેના સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ મનોજભાઈના ભત્રીજા ફરહાનભાઈ સાથે પહેલા બોલાચાલી કરી હતી. ઝઘડો વધતા મનોજભાઈ વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ લોખંડની પાઈપ અને લાકડાની પટ્ટીઓથી તેમના માથા તથા હાથ પર હુમલો કર્યો હતો.
આ મારામારી દરમિયાન નજીકની દુકાનના રેહાન, સાજીદ અને રીઝવાન પણ ઝઘડો શાંત પાડવા આવ્યા હતા, પરંતુ તેમને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાને કારણે આસપાસ ભીડ ભેગી થતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની બોલેરો ગાડી ત્યાં જ મૂકી ફરાર થઈ ગયા હતા. બાદમાં તમામ ઘાયલોને ખાનગી વાહનો દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધાવી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

