પ્રકૃતિએ આપેલું દરેક વૃક્ષ માનવજીવન માટે કોઈને કોઈ રીતે લાભદાયી હોય છે, પરંતુ કેટલાક વૃક્ષો એવા પણ હોય છે જે માનવ વસાહતમાં આરોગ્ય અને જમીનની ફળદ્રુપતા માટે હાનિકારક સાબિત થાય છે. આવા વૃક્ષોમાં કોનોકાર્પસનું નામ ખાસ ઉલ્લેખનીય છે. માન્યતા મુજબ કોનોકાર્પસના મૂળ જમીનમાં ખૂબ જ દૂર સુધી ફેલાય છે અને લગભગ 500 મીટર દૂર આવેલાં પાણીના સ્ત્રોતમાંથી પણ પાણી શોષી લે છે. આ કારણોસર વનવિભાગે છેલ્લા કેટલાક વર્ષોથી આ વૃક્ષના વાવેતર પર પ્રતિબંધ મૂક્યો છે.
છતાં પણ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કોનોકાર્પસનાં વૃક્ષો જોવા મળી રહ્યા છે. હાલમાં સુરજબાગ વિસ્તારમાં ત્રણ અને અયોધ્યાપુરી મેઈન રોડ પર બે આવા વૃક્ષો અસ્તિત્વમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે મોરબી મયુર નેચર ક્લબના સભ્યો તથા પર્યાવરણપ્રેમીઓએ મનપાના સંબંધિત વિભાગને જાણ કરી, આ વૃક્ષોને વહેલી તકે દૂર કરવાની માંગણી કરી છે.

