હળવદ તાલુકાના સુસવાવ ગામના સથવારા વાસમાં રહેતા ચુનીલાલ ભૂરાભાઈ બાહપીયા ગત તા. 26/12/2025ના રોજ સાંજના સમયે પોતાનું GJ-13-N-8065 નંબરનું બાઈક લઈને ઘરેથી વાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુસવાવથી કેદારનાથ મહાદેવ તરફ જતા માર્ગ પર જાંબુડા વાળા વોકળા પાસે સામેથી આવી રહેલા GJ-36-AM-3955 નંબરના બાઈક ચાલકે બેદરકારીપૂર્વક અને તેજ ઝડપે વાહન ચલાવી ચુનીલાલના બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચુનીલાલને પહેલા હળવદની ખાનગી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગરની સર્જરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને હળવદ પોલીસે આરોપી બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

