કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામે માધવ ચેમ્બર્સમાં રહેતા કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કરે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે પંચાસર, તા. શંખેશ્વર જી. પાટણના રહેવાસી દિલીપસિંહ કનુભાઈ ગોહીલ તથા રાજકોટ મોરબી રોડ સેટેલાઈટ ચોક, પુષ્કરધામ એવન્યુ, ઉમિયા કૃપામાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી. બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) અને તપાસમાં ખુલશે તેવા અન્ય આરોપીઓ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદ મુજબ ફરીયાદી કલ્પેશભાઈના ટ્રાન્સપોર્ટના ભાડા તરીકે રૂ. 24,96,850 અલગ-અલગ સમયે મોરબીના રહેવાસી સાથી અમિતભાઈ મનસુખભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્યામભાઈ હડીયલ દ્વારા જમા કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કલ્પેશભાઈના કહેવાથી તથા સાથી સુનીલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના રૂ. 21,93,850 મળીને કુલ રૂ. 46,90,700 મોરબી ધરતી ટાવરમાં આવેલી ડી. બાબુલાલ આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા હતા.
આ પેઢીનો લાંબા સમયથી વહીવટ સંભાળતા દિલીપસિંહને આ જવાબદારી આરોપી જગદીશભાઈ ઉર્ફે જગાભાઈએ સોંપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરીયાદી અને તેમના સાથીઓએ જમા કરાવેલી રકમ માટે વારંવાર ઉઘરાણી કરવા છતાં દિલીપસિંહે આજદિન સુધી રૂપિયા પરત આપ્યા નથી. આ બાબતે ફરીયાદી અને સાથીઓએ જગદીશભાઈને જાણ કરતા તેમણે રૂપિયા પરત આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા, પરંતુ તેમ છતાં કુલ રૂ. 46,90,700 પરત ન આપીને આરોપીઓએ કલ્પેશભાઈ અને તેના સાથી સાથે ઠગાઈ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

