માળીયાના રોહીશાળાનાં ચંદુભાઈ કાલરીયાએ 2023માં 1 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ પરેશભાઈ કલારીયાની હત્યા કરી લાશને વાડીના શેઢે ફેકી દીધેલ છે. ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરીને પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયાના ખેતરમાં કામ કરતા આરોપીઓ રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બંધેલ અને તેની પત્ની રાજબાઈ ની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓને પરેશભાઈએ જમીન વાવવા આપી હતી અને તેઓ રાજબાઈના ચેન ચાળા કરી બીભત્સ માંગણીઓ કરતા હોય તેથી રાજબાઈએ કામે આવવાનું બંધ કરી દીધું હતું. બાદમાં પરેશભાઈએ રાજબાઈને કામે મોકલવા રાકેશને જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાકેશએ પરેશભાઈનાં માથા પર પાવડા વડે વાર કર્યો હતો તેઓ પડી જતા આરોપીએ છરીથી ગળાનાં ભાગે ઘા મારી જીવલેણ ઈજાઓ કરી મોત નીપજાવ્યું હતું અને બાદમાં આરોપીઓએ ભેગા મળી લાશને ખેતરના શેઢે ફેકી દીધી હતી. આ કેસનો ચુકાદો આપતા કોર્ટે આરોપી રાગેશ ઉર્ફે રાકેશને આજીવન કેદની સજા તથા રૂ.પાંચ હજારનો દંડ ભરવા અને દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ આપ્યો હતો. અને રાજબાઈને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અને જામીન પેટે 10 હજાર ચુકવવા ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજય દવે રોકાયા હતા.

