શહેરના મુખ્ય અને હદય સમાન અને અસામાન્ય ટ્રાફિક વ્યવહાર ધરાવતો ગાંધીચોકથી ભવાની બેકરી સુધીના રોડને નવો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ રોડનું કામ કરવા માટે પહેલા આખા રોડને ખોદી નાખવામાં આવ્યો છે.
આથી બંન્ને બાજુએ રોડ બંધ કરી દેતા વાહનોની અવરજવર પર રોક લાગી ગઈ હતી. સવારથી આ રોડના શરૂ થયેલા કામને કારણે ટ્રાફિકની ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મોરબીના ગાંધીચોકમાં નગરદરવાજા પોલીસ ચોકીથી ભવાની બેકરી સુધીના 200 મીટરના રોડને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવો રોડ બનાવવા માટે આ રોડ ખોદી નાખીને આડશો મૂકીને વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. પણ એનાથી બેખબર વાહન ચાલકો ગાંધીચોક અને સામાછેડે પહોંચ્યા ત્યારે રોડ બંધ હોવાનું દેખાતા એક પછી એક વાહનો પરત ફરતા ટ્રાફિકની અંધાધૂંધી થઈ પડી હતી. આથી પોલીસ પણ ટ્રાફિક કિલિયર કરવામાં ધંધે લાગી હતી.
આજે સવારથી ટ્રાફિકજામ સર્જાયો હોવાની વચ્ચે હવે આ રોડનું કામ આશરે એકાદ મહિનો ચાલુ રહેવાનું હોય તેમજ અયોધ્યાપુરી રોડથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર વાળો રસ્તા પર પણ કામ ચાલુ હોવાથી વૈકલ્પિક માર્ગ તરીકે રામ ચોક, સાવસર પ્લોટ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ જઈ વાહન ચાલકો અવરજવર કરી શકશે તેવું તંત્રએ જાહેર કર્યું છે.

