મોરબી RTO વિભાગના ઈન્સપેક્ટર આર. એ. જાડેજા દ્વારા એપીએમસી, વાંકાનેર ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ અહીં આવતા ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિતના વાહનોને રેડિયમ લગાડવામાં આવ્યા હતા અને ડ્રાઇવરો ને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી.
જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે જિલ્લા માર્ગ સલામતી સમિતીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા સતત સક્રિય કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ, સ્કૂલોમાં સેમિનાર, ગ્રામ સભા વગેરેનો સમાવેશ થાય છે. એપીએમસી, વાંકાનેર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકને લઈને ટ્રેક્ટર મારફતે અહી આવે છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેક્ટર ચાલકો ને માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત અહીં આવેલા લગભગ 72 જેટલા ટ્રેકટર ટ્રેઇલરમાં રેડિયમ લગાડવામાં આવ્યા હતા, જેથી રાત્રીના સમય દરમિયાન રસ્તા પર બીજા વાહનોને સરળતાથી ટ્રેક્ટર ટ્રોલીને જોઈ શકે અને અનિચ્છનિય ધટનાને રોકી શકાય.

