પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં બંધારણ દિવસની ૭૬મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ ડિવિઝનલ રેલ મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ડીઆરએમ કાર્યાલયના પરિસરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને બંધારણની ઉદ્દેશિકા (Preamble) નું સામૂહિક પઠન કરાવ્યું હતું. આ પ્રસંગે તમામ રેલ કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમૃદ્ધિને મજબૂત કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
મીનાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને એ પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ ભારતને સંપૂર્ણ પ્રભુત્વ-સંપન્ન, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવા માટે સમર્પિત રહેશે તથા બંધારણ દ્વારા પ્રદત્ત મૂલ્યોના પાલન માટે પ્રતિબદ્ધ રહેશે.
આ વર્ષે બંધારણ દિવસની થીમ “આપણું બંધારણ, આપણું સ્વાભિમાન” રાખવામાં આવી છે.
બંધારણ દિવસ નિમિત્તે આવા કાર્યક્રમો માત્ર ડીઆરએમ કાર્યાલયના તમામ વિભાગોમાં જ નહીં, પરંતુ રાજકોટ, જામનગર, દ્વારકા, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર સહિત ડિવિઝનના તમામ મુખ્ય સ્ટેશનો પર પણ અસરકારક રીતે યોજાયા હતા.
રેલવે મુસાફરો અને રેલ કર્મચારીઓમાં જાગૃતિ વધારવા માટે ડીઆરએમ ઓફિસ, મુખ્ય સ્ટેશનો અને મુખ્ય સ્થળો પર બંધારણની ઉદ્દેશિકા, નાગરિકોના મૂળભૂત કર્તવ્યો સહિતની વિવિધ માહિતી દર્શાવતા પોસ્ટરો અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં અધિક ડિવિઝનલ રેલ મેનેજર (ADRM) કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત સોલંકી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

