મોરબી જિલ્લામાં ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962’ પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ હેલ્પલાઇન થકી 21 હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે.
તારીખ 6 ઓક્ટોબર, 2017થી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવાએ તાજેતરમાં સફળતાપૂર્વક 08વર્ષ પૂર્ણ કર્યા છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવા 08 વર્ષના ગાળામાં મોરબી જિલ્લામાં અનેક ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
કરુણા હેલ્પલાઈનના ડો.વિપુલભાઈ કાનાણએ જણાવેલી વિગતો અનુસાર પશુ પક્ષીઓની હર હંમેશ દરકાર માટેની આ સંવેદનશીલ સેવાના માધ્યમથી મોરબીમાં છેલ્લા 08 વર્ષમાં કુલ 21,836 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં 17,295 શ્વાન, 3,062 ગાય, 628 બિલાડી, કબૂતર સહિત સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ જેવા વિવિધ જીવોનો સમાવેશ થાય છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ની દરેક વાન તમામ દવાઓ અને અધ્યતન સાધનસામગ્રીથી સજ્જ છે, જેમાં એક તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન દ્વારા નગરના લોકોને શહેરના કોઈ પણ સ્થળે ઇજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ 1962 હેલ્પલાઇન નંબર પર ફોન કરી આ સરકારી વિનામૂલ્યે સેવાનો લાભ લેવા અને મૂંગા જીવોને મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

