અમદાવાદના સતાધાર વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પુત્રના લગ્ન ના કરવાના બાબતે પુત્ર એ માતાને માર મારતા માતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત થયું છે. સોલા પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી લગ્ન કરાવવાને લઈ અવારનવાર ઝઘડો કરતો
સતાધાર વિસ્તારમાં રહેતી 25 વર્ષથી યુવતી નકશી કોન્ટ્રાક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે તેના પિતા મયંકભાઇ, માતા પારૂલબેન અને ભાઈ વ્રજ સાથે રહે છે. વ્રજની ઉંમર 31 વર્ષ છે. વ્રજ વર્ષ 2018થી વર્ષ 2024 સુધી કેનેડા ખાતે સ્ટુડન્ટ વિઝા પર હતો. જેમાં વિઝા પુરા થતા વર્ષ 2024માં તે ભારત પરત આવી ગયો હતો. અત્યારે વ્રજ કોઈ કામ ધંધો કરતો નથી. જે દરમિયાન અવારનવાર માતા સાથે લગ્ન કરવા બાબતે ઝઘડો થતો હતો. વ્રજની લગ્નની ફરિયાદ રહેતી હતી કે, મારા લગ્ન કરાવતા નથી મારા માટે છોકરી શોધતા નથી.
પાંચ દિવસ અગાઉ વ્રજની પિતા સાથે લગ્ન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વ્રજની બહેન નકશી વચ્ચે પડતા વ્રજે બેન પર ગુસ્સો થઈ પરફ્યુમની બોટલ છૂટી મારી હતી. ગઈકાલે રાત્રે પણ નકશી અને તેમની માતા પારૂલબેન ઘરે હતા. ત્યારે વ્રજ આવ્યો અને પારુલ બેનને કહેવા લાગ્યો હતો કે, તમે મારા લગ્ન કેમ કરાવતા નથી, મારા માટે છોકરી કેમ શોધતા નથી.આટલું કહીને માતાને પેટના ભાગે મુક્કા મારવા લાગ્યો હતો. માતાને વધુ ઇજા પહોંચતા તેઓ રડવા લાગ્યા હતા. જેથી નકશી અને પડોશીઓએ ભેગા થઈને 108ને જાણ કરતા તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ લેવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પારૂલબેનનું મોત થયું હતું. આ બનાવ અંગે સોલા પોલીસે માતાની હત્યા બદલ પુત્ર વ્રજ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે.

