મોરબીના ખાખરાળા ગામના વતની અને રાજકોટમાં અભ્યાસ કરતા યુવાનની હત્યા કરનાર આરોપી છેલ્લા 7 દિવસથી ફરાર હોય પોલીસે અંતે તેને અમદાવાદ ખાતેના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાંથી તેને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ખાખરાળા ગામે રહેતા કિશન કરોતરા નામના 22 વર્ષીય રબારી યુવાનની ગત તા.30ના રોજ રાત્રીના સમયે હત્યા થઈ હતી. મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગર ઉ.વ.33 નામના શખ્સે પ્રથમ મૃતક યુવાન સામે બંદુક તાકી બંદુક વડે ફાયર કરતા બંદુકથી ફાયર થયેલ નહી. જેથી ધારદાર છરી વડે છાતીના ભાગે તથા વાસાના ભાગે જમણા ખંભાના ભાગે તથા કાંડાના ભાગે તથા જમણા હાથના પોંચાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પોહચાડી હતી. જેના કારણે યુવાનનું મોત થતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજી ડીવાયએસપીને આવેદન પણ આપ્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરતા આરોપી મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગર અમદાવાદમાં ગીતા મંદીર બસ સ્ટેશન ખાતે આવવાનો હોવાનું જાણવા મળતા પોલીસે વોચ ગોઠવી તેને પકડી મોરબી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એસ.કે.ચારેલ, પીએસઆ એસ.એન.સગારકા તથા સર્વેલન્સ ટીમ જોડાય હતી.

