રાજ્યના હવામાન ખાતાથી મળેલ માહિતી અનુસાર આગામી તારીખ: 02/02/2025 થી 04/02/2025 સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે અત્રે જણાવ્યા અનુસાર તકેદારીના પગલા લેવા માટે તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. તેને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રીતે મૂકવા જોઈએ. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરવો જોઈએ.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે મોરબી જિલ્લાના ખેડૂતો ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક તાલીમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર– 18001801551 પર સંપર્ક સાધી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

