માળીયા-મીયાણા અને હળવદ તાલુકામાં પથરાયેલા કચ્છના નાના રણમાં મોટા પાયે અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન તેઓ અગર વિસ્તારોમાં રહેતા હોય છે. અગર વિસ્તારમાં ખારું પાણી મળતું હોવાથી તેઓએ તંત્ર મીઠું પાણી પૂરું પાડવામાં આવે તેવી અગાઉ કરેલી રજૂઆતોને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો પૂરા પાડવામાં આવતા હતા. જો કે તાજેતરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરોને જ્યાં સુધી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ટેન્કરો શરૂ ન કરવા તેઓ લેખિત આદેશ કરતા અગરિયા હિત રક્ષક સમિતિના આગેવાન મારુતિ સિંહ બારૈયા અને અન્ય આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ અંગેની જાણ કલેકટર સુધી કરવામાં આવતા પાણી પુરવઠા તંત્રે ફરી ટેન્કર શરૂ કરાવ્યા હતા. જેના કારણે આ વિસ્તારોમાં આગામી દિવસોમાં મજૂરી કરતા અગરિયાઓને પાણીની તંગી નહીં થાય તેવી આશા અગરિયા રક્ષક સમિતિના મારુતિસિંહ બારૈયાએ વ્યક્ત કરી હતી.

