વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે તારીખ 19 થી 25 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો ”સહકારથી સમૃદ્ધિ તરફ” કાર્યક્રમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ”સહકારથી સમૃદ્ધિ તરફ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર દેશમાં 10,000 થી વધુ નવનિર્મિત દૂધ મંડળીઓના ઉદ્ઘાટન અને લાભાર્થીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમારોહના અધ્યક્ષ અને જિલ્લા મહિલા દૂધ સહકારી મંડળીઓના પ્રમુખ સંગીતાબેન કગથરાએ જણાવ્યું હતું કે, ”સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રનું મહત્વનું અંગ છે, અને તે જીડીપીમાં સૌથી મોટું યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન છે. ભારતએ ગામડાઓનો દેશ છે. તેથી ગ્રામ્ય કક્ષાએ સહકારિતા ક્ષેત્રની એ આત્મનિર્ભર ભારત અભિયાનમાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની 11 નવી દૂધ મંડળીઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને કુલ રૂ. 3,00,000ની કિંમતના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના સતત પ્રયત્નો થકી સહકારી ક્ષેત્રનું સશક્તિકરણ કરી ગ્રામીણ અર્થતંત્રને વેગવાન બનાવવાના ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ અલાયદા કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપના થઇ છે, જેનાથી સહકાર ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન થવાનું શરૂ થયું છે. આ પ્રયત્નો થકી સહકારીતા એક નવી ઊંચાઈ પર પહોંચશે અને દેશના સામાજિક તેમજ આર્થિક વિકાસની મજબૂત આધારશિલા બનશે.”
આ ઉપરાંત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમ થકી જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહમોના હસ્તે દીપપ્રાગટ્ય વડે કરાઈ હતી. મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત સમારોહમાં જિલ્લા સહકારી મંડળીઓની કચેરીમાંથી ઈ.ચા.ઓ.એસ. એ.યુ.ઘોણીયા, સહકારી અધિકારી (ઉદ્યોગ) એચ.આર.લિંબાસીયા, ઓડિટર ગ્રેડ-2 બી.કે.પરમાર, મદદનીશ સહકારી અધિકારી એચ.કે.દોરાલા, સિનિયર ક્લાર્ક બી.બી.ડાંગર, મોરબી માર્કેટિંગ યાર્ડના સભાસદો, વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખઓ, સભાસદો, ગ્રામ્ય અને તાલુકા કક્ષાના જનપ્રતિનિધીઓ, ખેડૂતો, પશુપાલકો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

