રણમાં મીઠુ પકવવાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવા ગાળવાની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે આજે હળવદના ટીકર રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ટિકર ગામના અગરિયા પરિવારો અત્યારે મીઠાની સિઝન હોવાથી રણમાં કામગીરી કરતા હોય છે. ત્યારે કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા ઉ.વ.30 રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા ઉ.વ. 25 રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા ઉ.વ.25ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે ટીના ભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

