HomeGujaratમોરબી જિલ્લાના ખેડૂતો માટે નેનો યુરિયા ખાતરના ઉપયોગની માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાઈ

મોરબી જિલ્લાના ખેડૂતો માટે નેનો યુરિયા ખાતરના ઉપયોગની માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાઈ

નેનો યુરિયા પ્રવાહી ખાતર એ છોડને નાઈટ્રોજન પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે. છોડની સારી વૃદ્ધિ અને વિકાસ માટે નાઈટ્રોજનની ભૂમિકા મહત્વની છે. અત્રે નોંધનીય છે કે, નેનો યુરિયા એ સૌપ્રથમ પેટેન્ટવાળું નેનો ખાતર છે. જેને ઇફકો- નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (એનબીઆરસી) કલોલ ગુજરાત દ્વારા સ્વદેશી તકનીકથી વિકસિત કરવામાં આવેલ છે.

દેશભરમાં નેનો યુરિયાના વિવિધ પાક અને જમીન- આબોહવાના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોએ સાબિત કર્યું છે કે, નેનો યુરિયા દ્વારા યુરિયા જેવા પરંપરાગત નાઈટ્રોજનયુક્ત ખાતરોના ઉપયોગમાં 50 % સુધીનો ઘટાડો મેળવી શકાય છે. સામાન્ય રીતે ખેતરમાં નાખેલા યુરિયામાંથી માત્ર 30 -50% જેટલો ભાગ જ નાઈટ્રોજન સ્વરૂપમાં પાકને ઉપયોગી થાય છે. બાકીનું યુરિયા નાઈટ્રોજન ગેસ, એમોનિયા, નાઈટ્રસઓક્સાઇડ અથવા નાઈટ્રેટના સ્વરૂપમાં જમીન, હવા અને પાણીને પ્રદુષિત કરે છે.

નાઈટ્રોજનએ એમિનો એસિડ, ડીએનએ- આરએનએ, લીલાપર્ણ (હરિતદ્રવ્ય)નો મુખ્ય ઘટક છે. એક તંદુરસ્ત છોડના પાંદડાઓમાં લગભગ 4% નાઇટ્રોજન હોવો જોઈએ. નેનો યુરિયાના કદ, આકાર, સ્વરૂપ, સાંદ્રતા અને સપાટીના ક્ષેત્રફળના વિશેષ ફાયદા છે. તેનો થોડી માત્રામાં જ પાન ઉપર છંટકાવમાં ઉપયોગ થાય છે, જે પર્યાવરણને નુકસાન નથી કરતું. નેનો યુરિયાના ઉપયોગથી પર્યાવરણ શુદ્ધ રહે છે અને નાઈટ્રોજનનો ઉપયોગ ક્ષમતામાં વધારો થવાને કારણે પાકની ઉપજ, ગુણવત્તા અને ખેડૂતોના લાભમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.

નેનો યુરિયાના ફાયદા જોઈએ તો તે નાઈટ્રોજનની કાર્યક્ષમતા વધારે છે. પાકની ઉપજને અસર કર્યા વિના યુરિયા અને અન્ય નાઈટ્રોજનયુક્ત ખાતરોની બચત થાય છે. નેનો યુરિયાની એક બોટલ (500 મિલિલીટર) એક બેગ યુરિયા (45 કિલો ગ્રામ) ની બરાબર છે. પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે. ખેડુતોને વધુ આર્થિક લાભ મળે છે. તેની કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મૂલ્યમાં વધારો થાય છે. ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતા નુકશાનને બચાવે છે. જેથી જમીન, હવા અને પાણીનું પ્રદુષણ અટકે છે. તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત ટકાઉ કૃષિના લક્ષ્યને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે. નેનો યુરિયામાં વજનના આધારે કુલ 4% નાઇટ્રોજનનું પ્રમાણ છે. નેનો યુરિયામાં હાજર નાઈટ્રોજનના કણોનો આકાર 20-50 નેનોમીટર છે.

પાકના પ્રારંભિક વિકાસના તબક્કે નાઈટ્રોજનની આવશ્યકતા અનુસાર નેનો યુરિયાના 2-4 મિલિલીટર પ્રમાણને 1 લિટર પાણીમાં મિલાવીને તેનો છંટકાવ કરવો. સારા પરિણામ મેળવવા માટે બે વાર છંટકાવ કરવા જરૂરી છે. પ્રથમ છંટકાવ કળીઓ/ શાખાઓ નીકળવાના સમયે અંકુરણ પછી 30-35 દિવસ પછી અથવા રોપણીના 20-25 દિવસ પછી અને બીજો છંટકાવ ફૂલો બેસવાના 7-10 દિવસ પહેલા કરવો જોઈએ. ઉપયોગ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવી દો. ફલેટ ફેન અથવા કટ નોઝલ સ્પ્રેઅરનો ઉપયોગ કરીને પાંદડા પર સારી રીતે સ્પ્રે કરો. જયારે પાંદડા પર ઝાકળના કણો ના હોય ત્યારે સવારે અથવા સાંજે છંટકાવ કરો જો છંટકાવના 12 કલાકમાં વરસાદ પડે તો ફરીથી છંટકાવ કરવો.

નેનો યુરિયા શ્રેષ્ઠ પરિણામ માટે ઉત્પાદનની તારીખથી બે વર્ષ સુધી વાપરી શકાય છે. નેનો યુરિયા આ કણો છોડની જરૂરિયાત પ્રમાણે અન્નવાહિની દ્વારા બીજા ભાગોમાં સહેલાઈથી પ્રસરી જાય છે. છોડના ઉપયોગ પછી બાકીનો વધારાનો નાઈટ્રોજન રસધાનીમાં જમા થઈ જાય છે અને ધીમે ધીમે જરૂરિયાત મુજબ મુક્ત થાય છે અને છોડના વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે. નાઈટ્રોજનની પૂર્તિ માટે નેનો યુરિયાનો ઉપયોગ બધા પાક માટે યોગ્ય છે. તેના ઉપયોગથી નાઇટ્રોજન ઉપયોગની કાર્યક્ષમતા અને પાક ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થાય છે. નેનો યુરિયા સંપૂર્ણપણે સલામત છે છતાં પણ સાવધાની માટે પાક પર છાંટતી વખતે માસ્ક અને ગ્લોવ્ઝનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેને ભેજમુક્ત ઠંડી જગ્યાએ સંગ્રહ કરવું અને બાળકો અને પાળતું પ્રાણીની પહોંચથી દૂર રાખવું જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW