મોરબીના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક નામની ફેકટરીના લેબર કવાટર્સમાં ગત તા.- 03/11/2024ના બપોરના સુમારે મધ્યપ્રદેશના વતની ધાપુબેન કનૈયાલાલ માલવીય નામના મહિલાની ગળાના ભાગે છરીના ઘા ઝીકી તેણીના જ પતિ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયએ હત્યાનો બનાવ બન્યો હતો. જે બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
જેમાં આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના અણીયારી ટોલનાકા નજીકથી વતનમાં જવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે તે સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો. તેમજ મૃતક ધાપુબેન છેલ્લા છ સાત મહિનાથી તેંમના વતનમાં રહેતા હતા અને ધાપુબેનનો મોબાઈલ ફોન તેણીના પતિ કનૈયાલાલ પાસે હોય જેમાં કોઈ યુવાનના ફોન આવતા હોવાથી ધાપુબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી આરોપી કનૈયાલાલે ધાપુબેન સાથે ઝગડો કરી, તારે તે વ્યક્તિ સાથે શુ સંબંધ છે? તેમ કહી ગળાના ભાગે છરીના ઘા ઝીકી દેતા ધાપુબેનનું મોત નીપજ્યું હતું. આમ ગુનાને અંજામ આપનાર પતિની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

