સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે મોરબી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમ ચીફ ઓફિસર ધાર્મિક ડોબરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે. બેઠાપૂલ પાસે છુટાછવાયા વસવાટ કરતા ૧૫૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ૬૦ જેટલા લોકોને બસની વ્યવસ્થા કરીને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા છે જ્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય ૯૦ લોકોએ પોતાના સંબંધીને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓને ફુડ પેકેટ સાથે જ રવાના કર્યા છે. ઉપરાંત નિચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જરૂર પડ્યે અન્ય લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી શકે છે, તેમ ચીફ ઓફિસર એ જણાવ્યું હતું. ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં પાણી ભરાયાં હતા ત્યાં તાત્કાલિક જેસીબી મોકલીને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ ડી વોટરીંગ પંપ, નગરપાલિકાના જેસીબી સહિત ચાર થી પાંચ જેસીબી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

