મોરબી જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા કે જેને રાજ્ય સરકારે મહા નગર પાલિકાનો દરજ્જો અપાયો છે, જોકે રાજ્ય સરકાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટના બાદ સુપર સીડ થતા લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણુંક ન થવાના કારણે દોઢ વર્ષથી પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર હવાલે ચાલી રહી છે. ડેપ્યુટી કલેકટર પાસે પાલિકાનો ચાર્જ હોય અને આ ડેપ્યુટી કલેકટર પોતાના રેગ્યુલર કામમાંથી સમય આપી શકતા ન હોય, જેના કારણે મોરબી પાલિકામાં રજૂઆત સાંભળનાર કે લોકોની સમસ્યાનો ઉકેલ લાવનાર કોઈ ન હોય તેવી સ્થિતિ બની છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખુદ મોરબી વાસીઓ પણ અવાર નવાર રજૂઆત કરી રહ્યા છે. લોકોને ન છૂટકે શહેરની નાની મોટી ફરિયાદો લઇ છેક કલેકટર સુધી જવું પડતું હોવાથી હવે ખુદ કલેકટર દ્વારા આગામી સપ્તાહથી પાલિકામાં લોકોની સમસ્યા સંભાળવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં દર મંગળવારે જિલ્લા કલેકટર કિરણ ઝવેરી અને ચીફ ઓફિસર ધાર્મિક ડોબરિયા મંગળવારે 10:30 થી 12:30 સુધી પાલિકાએ હાજરી આપી લોકોની સમસ્યાને સાંભળશે. આ ઉપરાંત દર બુધવારે પાલિકાના વહીવટ દાર એસ જે ખાચર શુક્રવારે સાંજે 4 થી 6 ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને ચીફ ઓફિસર ધાર્મિક ડોબરિયા હાજર રહેશે તો દર મહિના ના પ્રથમ અને ત્રીજા શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન ચીફ ઓફિસર હાજર રહેશે.

