વાંકાનેર શહેરમાં આવેલા દીવાન પરામાં જુના જીઈબી કચેરીને તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મંગળવારના રોજ અચાનક દૂર્ઘટના સર્જાઇ હતી. જેમાં છત માથે પડતાં દબાઇ જવાથી એમપીના બે મજૂરના મોત થયા છે. જુનુ બાંધકામ તોડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં મજૂરો કામે આવ્યા હોઇ ગઇકાલે આ બાંધકામ તોડતી વખતે છત માથે પડતાં બે મજૂર દબાઇ ગયા હતાં.

જેમાં મુળ મધ્યપ્રદેશના રાજેશ બાલસીંગ પરમાર નામના૧૮ વર્ષીય મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે મુળ એમપીના મુનસિંગ મોહનભાઇ ડામોર નામના ૪૫ વર્ષીય શ્રમિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મુનસિંગ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

