મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને સાડા ત્રણ મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયો છે.મોરબી જિલ્લાનું તંત્ર અને લોકો ધીમે ધીમે ઘટનાને ભૂલી ગયા છે પરંતુ હજુ આજે પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવાર ઘટનાને નથી ભૂલી શક્યો કે તેમની આંખ સુકાઈ નથી .આ ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયો હતો જેમાં કેટલાય કુમળી વયના બાળકો તો કેટલાય લગ્ન લાયક યુવક યુવતી મૃત્યુ પામ્યા હતા, જે હજુ પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે.
હજુ પણ તેમની આત્મા પૂછી રહી છે કે તેઓનો શું વાક હતો કે તેમને એટલું દર્દનાક મોત મળ્યું કે પરિવારના હાથે પાણી પીવાનુ પણ નસીબ નમળ્યું! મોરબીના ભડીયાદ ગામ નજીક આવેલા બૌદ્ધ નગર વિસ્તારમાં રહેતા વિજયાબેન અને ખીમજીભાઈ મકવાણાએ તેની 20 વર્ષીય લાડકી દીકરી પુનમને આ દુર્ઘટનામાં ગુમાવી હતી. દીકરી તેના મામા અશોકભાઈ અને મામી ભાવનાબેન સાથે તે દિવસે ઝૂલતા પુલમાં ફરવા ગઈ હતી. જો કે મામા, મામી કે ભાણેજ એક પણ પરત ફર્યા ન હતા.
લગ્નની ઉમરમાં લાડકી દીકરી ગુમાવનાર માતા પિતાની નજરથી દીકરી હજુ પણ દૂર થઈ શકી નથી ત્યારે આ દિકરીની યાદ કાયમી સચવાય તે માટે પિતાએ તેના આત્માની શાંતિ માટે પાણીનું પરબ બાંધવાનું નક્કી કર્યું હતું. મજૂરી કામ કરતા પિતા અને મોરબીના જોડીયા હનુમાન મંદિર પાસે જગ્યામાં પોતાની દિકરીની યાદના પરબ બાંધ્યું છે અને આજ શિવરાત્રિના પાવન દિવસથી આ પરબ શરૂ કર્યું હતું તેમજ દિકરીની આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞ કર્યો હતો. દુર્ઘટનાતો સમાજમાં બનતી રહેતી હોય છે પરંતુ તેની પીડા કાળજામાં દબાવી સમાજોપયોગી કામ હાથ ધરીને ખીમજીભાઇએ એક અનેરી મિસાલ કાયમ કરી છે.

