મોરબીના ચાચાપર ગામના તુષાર ભાલોડીયા ખોખરા હનુમાન વાળા રોડ ખાતે એબ્રોડ વિટ્રીફાઈડ ફેકટરીમાં નોકરી કરે છે અને ગત તા. 1ના રોજ તુષાર અને કાકાનો દીકરો કૌશિક કાર લઈને કારખાને જતા હતા તે દરમિયાન રાજકોટ રોડ પર શનાળા ગામ પાસે મેલડી માતાજી મંદિર સામે તા સાઈડના રોડ પરથી આવતી સફેદ કારે ફરિયાદીની કારના બંને દરવાજા વચ્ચે ટક્કર મારતા ગાડી સાઈડમાં પાર્ક કરી નીચે ઉતર્યા હતા. ત્યારે કારમાંથી એક અજાણ્યો ઇસમ ઉતર્યો હતો અને બાજુમાંથી વરૂણભાઈ અને અન્ય બે માણસો પોતાના હાથમાં લોખંડ પાઈપ, લાકડાના ધોકા લઈને તુષારને મારવા લાગ્યા હતા અને લાકડાના ધોકાથી માર મારી ઈજા પહોંચાડી હતી. માણસો ભેગા થઇ જતા તમામ લોકો ત્યાંથી નાસી ગયા હતા. ફરિયાદી તુષાર સાથે ગાડીમાં હાજર કૌશિકભાઈએ કાકાના દીકરા ચિરાગને ફોન કરી બનાવની જાણ કરતા તેઓ પોતાની કાર લઈને આવ્યા હતા અને તેમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ફરિયાદી તુષાર ઉપરાંત કૌશિક પણ છોડાવવા જતા તેમને ઈજા પહોંચી હતી.
જે બનાવનું કારણ એ છે કે, છ એક માસ પૂર્વે ફરિયાદીના પિતરાઈ ભાઈ મિલનભાઈ વિનોદભાઈ ભાલોડીયાએ પોતાનો ફ્લેટ ખરીદવા ભૂપત જારીયા અને નિકુંજ જારીયા અને રોહિતભાઈ જીલરીયા પાસેથી હાથ ઉછીના રૂપિયા 13 લાખ લીધા હતા. જેની ઉઘરાણી કરવા ત્રણેય જણાં મિલનને ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ત્યારે ફરિયાદી તુષાર ભાલોડીયાએ વચ્ચે પડી આ લોકોને નીકળી જવા કડક શબ્દોમાં કહ્યું હતું. જેથી ત્યારે તે લોકો નીકળી ગયા હતા અને તે બાબતનું મનદુઃખ રાખીને તુષાર તેમજ તેના પિતરાઈ ભાઈ કૌશિકભાઈની કારને પોતાની કારથી ટક્કર મારી લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી વરુણ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

