ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને તેના સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. આ અકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત, હિંદી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના સંવર્ધન માટે કામ કરી રહી છે. હાલમાં ભાગ્યેશ જહા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે.
દર વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના લેખકો અને સર્જકોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવે છે. ગત વર્ષ 2021 માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી ભાષાના લેખક કે જેઓ હિન્દી ભાષા માટે પણ કામ કરી ચૂક્યા છે એવા રામ મોરીના નામની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2017માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને યુવા પુરસ્કારદ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. જેના કારણે રામ મોરી અત્યાર સુધીમાં સૌથી નાની ઉંમરે આ પુરસ્કાર મેળવનારા વ્યક્તિ બની ગયા હતા, હવે 2022માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી યુવા પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે. આ પુરસ્કાર તેમને તેમની રચનાઓ મહોતું, કોફી સ્ટોરીસ અને કન્ફેશન બોક્સ માટે મળી રહ્યું છે.
રામ મોરીનો જન્મ પાલિતાણાના લાખાવાડ ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક જીવન પોતાના ગામમાં જ વીત્યું અને ત્યાર બાદ તેમણે અભ્યાસ માટે ભાવનગર ગયા અને હાલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણ પુસ્તકો લખ્યા છે અને આગામી સમયમાં તેમની 2 નવલકથા અને 1 વાર્તા સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે 5 જેટલી ફિલ્મો લખી છે અને 7 જેટલી હિન્દી અને ગુજરાતી ટેલીવિઝન સિરિયલ પણ લખી ચૂક્યા છે. તેમજ તેઓ ગુજરાતી રંગમંચ માટે પણ અનેક નાટકો લખી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાતનાં જાણીતા લેખક ગુણવંતરાય આચાર્યની નવલકથા આધારિત ‘વીજળી’ નામનું નાટક પણ રામ મોરીએ લખ્યું છે..
રામ મોરીનું પરિવાર મૂળ ખેતીવાડી સાથે સંકળાયેલું છે, તેમણે જણાવ્યુ હતું કે, “મારૂ મોટા ભાગનું બાળપણ ગામમાં રહ્યું છે, મારા બા, દાદા-દાદી બધા પાસેથી મને લોકકથાઓ અને વાર્તાઓ સાંભળવાનું ખૂબ ગમતું હતું, આ સાંભળવાનો શોખ ક્યારે મને વાર્તાકાર બનાવી ગયો મને ખબર જ ન પડી. હું શાળામાં પણ વાર્તાઓ અને લોકકથાઓ સંભાળવતો અને આમ કરતાં કરતાં મારો સાંભળવાનો શોખ મને લેખક બનવા સુધી લઈ આવ્યો.”

