વિદ્યાપીઠની ટ્રસ્ટી મંડળની બેઠક મળનાર છે અને જેમાં હાલના કુલપતિ એવા ઈલાબહેન ભટ્ટનું રાજીનામુ સ્વીકારી લેવાશે.જ્યારે નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતનું નામ મુકાશે. જેઓ હાલ ગુજરાતના રાજ્યપાલ છે .જો કે રાજ્યપાલ તરીકે નહીં પરંતુ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિ તરીકે તેઓ વિદ્યાપીઠના કુલપતિ બનશે.સરકારી સ્ટેટ યુનિ.ઓમાં કુલપતિની ઉપર રાજ્યપાલ કુલધાપતિ હોય છે તે રીતે ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે.
બધા ગાંધીવાદી: પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા પણ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામા આવે છે. વિદ્યાપીઠના ૧૦૦ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે અને હાલના કુલપતિ એવા ડૉ.ઈલાબહેન ભટ્ટ છે.જેઓએ થોડા સમય પહેલા રાજીનામુ આપી દીધુ હતુ પરંતુ સ્વીકારવામા આવ્યુ ન હતુ. જો કે મળતી માહિતી મુજબ તેઓ પાસેથી રાજીનામુ લઈ લેવામા આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ તેઓનું રાજીનામુ વિધિવત રીતે આવતીકાલે મળનારી ટ્રસ્ટી મંડળની બેઠકમાં સ્વીકારી લેવાશે અને નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતનું નામ મુકાશે.મહત્વનું છે કે છેલ્લે કુલનાયક તરીકે ડૉ.અનામિક શાહની ટર્મ પુરી થયા બાદ નવા કુલનાયક પદે ડૉ.રાજેન્દ્ર ખિમાણીની વરણીથી ચાલતા છેલ્લા ઘણા સમયના વિવાદ બાદ હવે એક મોટું પરિવર્તન થનાર છે.
આવી શક્યતા: હવે વિદ્યાપીઠ ડિમ્ડ યુનિ.હોવા છતાં પણ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ આવે તેવુ આયોજન થઈ રહ્યુ છે. વિદ્યાપીઠના ઘણા સમયથી કેન્દ્રમાંથી પુરતી ગ્રાન્ટ ન મળતા આર્થિક મુશ્કેલી પડી રહી છે અને હવે યુજીસીના આદેશનુ પાલન ન થાય તો તમામ ગ્રાન્ટ બંધ થાય તેમ હોવાથી વિદ્યાપીઠનો વહિવટ સરકારના જ દિશા નિર્દેશથી ચાલે તેવી શક્યતા છે.

