ઈરાનની માહાન એરલાઈન્સની ફ્લાઈટ તેહરાનથી ચીન જવા નીકળી હતી. એમાં બોમ્બની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ પાયલટે દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. ટ્રાફિક કન્ટ્રોલરે તેને અન્ય વિકલ્પો આપ્યા હતા, પરંતુ પાયલટે દિલ્હીમાં જ ઈમરજન્સી લેન્ડિંગની જીદ પકડી રાખતા આખરે વાયુસેનાના વિમાનોએ સુરક્ષાના કારણોસર એ વિમાનને ભારતીય એર સ્પેસમાંથી ભગાડી મૂક્યું હતું.
પાયલટે દિલ્હીમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની જીદ પકડી રાખી હતી. આખરે એરપોર્ટ ઓથોરિટીએ દિલ્હી પોલીસને જાણ કરી હતી. દિલ્હી પોલીસ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સિવિલ એવિએશન સુરક્ષા બ્યૂરો વગેરે સાથે ચર્ચા કર્યા બાદ વાયુસેનાના બે સુખોઈ-૩૦ વિમાનોને મોકલાયા હતા. વાયુસેનાના વિમાનોએ ઈરાની એરલાઈન્સના વિમાન સાથે સલામત અંતર જાળવીને તેને ભારતીય એર સ્પેસમાંથી ભગાડી મૂક્યું હતું. જોકે, ત્યાં સુધી ઈરાનના તેહરાનથી દિલ્હી એરપોર્ટ ઓથોરિટીને મેસેજ મળી ચૂક્યો હતો કે વિમાનમાં બોમ્બ નથી, કોઈએ માત્ર અફવા ફેલાવી છે. વિમાન તેના નિયત રૃટમાં આગળ વધ્યું હતું અને પછી સલામત રીતે ચીનમાં લેન્ડિંગ થયું હતું.
સુરક્ષા અધિકારીઓના કહેવા પ્રમાણે વિમાનમાં બોમ્બ હોય તો પાટનગર દિલ્હીની સુરક્ષાને જોખમમાં મૂકી ન શકાય. કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે વિમાનને ભારતની એરસ્પેસમાંથી રવાના કરી દેવાયું હતું.

