હળવદ તાલુકાની મેરૂપર ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને માર મારવામાં આવતા બાળકીઓ ડરી ગઈ હતી અને તેના કારણે ડિપ્રેશનમાં આવી જતા 17 જેટલી વિદ્યાર્થિનીઓને હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. ઘટના બાદ સોમવારના વાલીઓએ હોસ્ટેલ ખાતે પહોંચી શિક્ષકોનો ઉધડો લીધો હતો. જેમાં શિક્ષકો એકબીજા પર આક્ષેપ લગાવી પોતાની છબી સ્વચ્છ હોવાનું જણાવી રહ્યાં છે. અને જેના પડઘા જિલ્લા સુધી પડ્યા હતા. જે મામલે જિલ્લાના અધિકારીઓ પણ હોસ્ટેલમાં ધામા નાખ્યા હતા. અને વાલીઓને બાળકોને નહીં લઇ જવા માટે સમજાવ્યા હતા. પરંતુ મામલાએ વધુ તુલ પકડ્યું છે અને તમામ શિક્ષકોને બદલવાની માંગ સાથે વાલીઓએ બાળકોને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાંથી ઘરે લઇ ગયા હતા. જ્યારે આ મામલે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓના માતા-પિતા ઉપસ્થિત રહી એક સૂરમાં તમામ શિક્ષકોને બદલવાની માંગ કરી હતી. અને ત્યારબાદ જ વિદ્યાર્થિનીઓને અભ્યાસ અર્થે હોસ્ટેલમાં મોકલવાની મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતુ. હાલ હોસ્ટેલમાં ભણતી તમામ 50 જેટલી વિદ્યાર્થિનીઓને વાલીઓ ઘરે લઇ ગયા હતા. અને જેના પગલે તેને અભ્યાસ બગડતા તેના માટે જવાબદાર કોણ અને શિક્ષકોના આંતરીક ડખામાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે આગળનો સમય જ બતાવશે.

