મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા દેવળીયામાં બે શખ્સોએ PGVCLના કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ચરાડવા PGVCLમાં ફરજ બજાવતા કર્મચારી નવા દેવળીયામાં પોતાની કાયદેસરની ફરજ બજાવતા હોય ત્યારે આરોપીએ ફરિયાદીને ગાળો આપી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ચરાડવા ગામે PGVCLમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઇ સુરમાભાઇએ નવા દેવળીયાના મનસુખભાઇ ભગવાનભાઇ પટેલ અને મહેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ચરાડવા PGVCLમાં ફરજ બજાવે છે. અને ફરજના ભાગરૂપે નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસનું મીટર બદલાવા માટે થઈને ગયા હતા. આ દરમિયાન આરોપી મનસુખભાઇ પટેલ અને મહેશભાઇ પટેલે ફરિયાદીને ગાળો આપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને અમારુ કામ કેમ નથી કરતો તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલા મહેન્દ્રભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

