મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ધ્રોલમાં યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં બાગાયતી પાકોમાં ઉત્તમતા લાવવાના કેન્દ્રો (સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર) અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ એ પાંચ જિલ્લાઓમાં પ્રાથમિક પ્રક્રિયા કેન્દ્રો (પ્રાયમરી પ્રોસેસિંગ સેન્ટર)ના ખાતમુહુર્ત કર્યા હતા.
ધ્રોલની જીએમ પટેલ હાઈસ્કૂલ પરિસરમાં યોજાયેલ ઈ ખાતમુહુર્ત બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટેની સાંકળ ઉભી કરી ખેડૂતોની આવક વધારવા આ કેન્દ્રોના નિર્માણ કરાઈ રહ્યા છે, ગુજરાતમાં 20 વર્ષમાં બાગાયતી પાકોના વાવેતરનો વિસ્તાર 6.92 લાખ હે.થી વધીને 19.77 લાખ હેક્ટર થયો છે અને ઉત્પાદન 62.01 લાખ ટનથી વધીને 250.52 લાખ ટન થયું છે.તેમણે જણાવ્યું કે મધમાખી ઉછેર માટે રાજ્ય સરકારે 10 કરોડની ફાળવણી કરી છે. રાજ્યની કેસર કેરીની આજે જી.આઈ.ટેગ મળ્યું છે, ચાલુ વર્ષે બાગાયતી પાકો માટે રૂ।. 10 કરોડની જોગવાઈ કરાઈ છે, ઈ-નામ (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ)થી ખેડૂતો દેશભરના ખેડૂતો સાથે સંપર્કમાં રહી કૃષિ ઉત્પાદનોની મહત્તમ કિંમત મેળવી શકે છે. રાજ્યમાં 35 કરોડના ખર્ચે ડ્રોન ટેકનોલોજીથી 1.40 લાખ એકર જમીનને આવરી લેવાશે. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી સહિત મંત્રીઓભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા

