ચોમાસાને કારણે હાઈવે અને રોડ- રસ્તા ધોવાઈ ગયા છે. આવા રોડ પર વાહનો ચલાવવાથી વાહનમાં નુકસાન થાય છે અને ખર્ચ વધે છે. અગાઉ તાકીદ કર્યા બાદ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા રાજકોટના ટ્રકચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે આ અંગે ટ્રકચાલકોએ રાજકોટના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જ્યાં સુધી રોડ-રસ્તા રિપેર નહિ થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવીને પોતાનો વિરોધ નોંધાવશે.
ખખડી ગયેલા રસ્તા: રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્ર, રાજ્યભર અને દેશભરમાં માલ મોકલવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી આ હેરાનગતિનો સામનો કરી રહ્યા છીએ. જોકે સામાન્ય દિવસ કરતા ચોમાસામાં સૌથી વધુ તકલીફ પડે છે. ટોલટેક્સ ચૂકવવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે હકીકત એવી પણ છે કે, રાજકોટને જોડતા હાઇવે પણ ખખડી ગયા છે. જ્યારે હાઇવે પણ ટેકસ ભરવા છતાં પણ કોઈ રસ્તા સારા નથી.
ટોલ ટેકસ નહિ મળે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે, ટોલટેક્સ ચૂકવીએ છતાં રોડ-રસ્તાની પૂરતી સુવિધા મળતી નથી. ખરાબ રોડ-રસ્તાને કારણે વાહનમાં નુકસાન થાય છે. તેની સાથે સાથે માલની સમયસર ડિલિવરી પહોંચાડી શકાતી નથી. આથી આર્થિક નુકસાન જાય છે. તેમજ ટાયર તૂટી જાય છે ડીઝલનો વપરાશ વધુ થાય છે અને ટ્રકચાલકોને ડોક, મણકા, કમરમાં પણ નુકસાન પહોંચે છે. 8 દિવસમાં રોડ-રસ્તા રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ટોલટેક્સ નહીં મળે.

