બનાસકાંઠામાં મેઘો મૂશળધાર વરસી રહ્યો છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. પાલનપુર-આબુ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ જતાં 5 કિમી લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી બાજુ દેશના પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતાં ત્રિશુળીયા ઘાટમાં ભેખડો ધસી પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે, તંત્ર દ્વારા તાબડતોડ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને વાહનવ્યવહારને ફરીથી પૂર્વવત કરાયો હતો.

વરસાદથી યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તામાં ત્રિશુળીયા ઘાટ વિસ્તારમાં રસ્તાઓ પર ભેખડો ધસી પડી હતી. જે બાદ દાંતાના મામલતદાર અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને મજૂરો સાથે પહોંચી જઈ ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર વડે રસ્તાને સાફ કરવામાં આવ્યો કરવામાં આવ્યો હતો. અંબાજી જતાં ભક્તોને જવામાં મુશ્કેલી ન પડે તે માટે વરસતા વરસાદમાં તંત્રએ ભેખડો દૂર કરી રસ્તો શરૂ કરાવ્યો હતો. જોકે હાલમાં આ રૂટ ભીનો થયો છે.

