ભાવનગરમાં જેસર તાલુકાના તાતણીયા ગામથી સલડી વચ્ચે પાંચ ગામ આવેલ છે પરંતુ એપ્રોચ સીંગલ પટ્ટી રોડ એટલી હદે બિસ્માર છે કે ૧૦૮ આવી શકતી નથી. રસ્તામાં નદીનું વહેણ ૨૪ કલાક શરૂ રહેતા ગઇકાલે સ્મશાનયાત્રા પણ ટ્રેક્ટરમાં કાઢવા ગ્રામજનો મજબુર બન્યા હતાં.
તાતણીયાથી સલડી જવાનો રસ્તો આઝાદીથી અત્યાર સુધી આ રસ્તાની કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ રસ્તા ઉપર ૪ થી ૫ ગામના લોકોની અવર જવર થાય છે તાતણીયાથી સલડી રસ્તા ઉપર જે લોકોના રહેણાંક છે તે લોકોને ડીલેવરી હોઇ અથવા ઇમરજન્સી દવાખાનુ આવે તો પણ ઘર સુધી ૧૦૮ ગાડી પહોંચી શકતી નથી. જેથી આ કાચા રસ્તાને પાકો બનાવવામાં આવે તો આ રસ્તા ઉપર રહેલા લોકોને ૧૦૮ની સુવિધા મળી રહે આ રસ્તા ઉપર પાણીના કારણે વાહન ચાલક હેરાન થાય છે.
તાતણીયાથી સલડી રસ્તા ઉપર આવેલ નદીમાં ચોમાસામાં કાયમી માટે બે થી અઢી ફૂટ પાણી વહી રહ્યું હોય છે અને વરસાદ ચાલુ હોય ત્યારે ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે અને વાડીએ રહેતા ખેડૂતો સંપર્ક વિહોણા બની જાય છે. ગામમાં મૃત્યુ થાય ત્યારે ડાઘુઓ ટ્રેક્ટર અથવા અન્ય વાહનના સહારે સ્મશાનયાત્રા કાઢે છે ને ચોમાસાના ચાર મહિના આ નદીના વહેણ ત્રણથી ચાર ફૂટના પાણી કાયમી માટે હોય છે જેથી આ નદી ઉપર પુલ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

