પતિ-પત્ની લગ્ન સમયે એકબીજાને સાત જન્મ સુધી સાથ આપવાના વચન આપે છે. વડોદરામાં પણ પતિ-પત્ની જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પણ એક જ દિવસે થયું હોવાની ઘટના સામે આવી છે. પત્નીનું અકસ્માતમાં મોત થયું છે એ જાણતા જ ઘરે પતિનું પણ પ્રાણ ગયા છે. બંનેની એક સાથે જ અંતિમયાત્રા નિકળી હતી. જેમાં પરિવારજનો હિબકે ચડતા સૌ કોઈની આંખો ભીંજાઇ ગઈ હતી.
પોલીસે પગલાં લીધા: વડોદરાની મકરાપુરા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક (GJ-06-MN-8379)ચાલક શિવરાજ તીલોતમા બોરાહ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા, વડોદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અર્પિતભાઇએ કહ્યું હતું કે, મારા મમ્મી મંદિરે દર્શન કરવા જતાં હતા ત્યારે બાઇકની ટક્કરે ઇજા થઇ હતી. એટલે સયાજી હોસ્પિટલમાં સારવાર હેતુ લઈ ગયા જ્યાં તેમનું અવસાન થયું હતું. જેની જાણ મારા પિતા વાસુદેવભાઇને થતાં તેમનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. બન્નેના મૃત્યુમાં માત્ર અડધો કલાકથી એક કલાકના સમયનું અંતર હતું. ઉલ્લેખનીય છે કે મૃતક વાસુદેવભાઇ માણેજા ખાતેની ABB કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.
માતાનું અકસ્માતમાં અને પિતાનું હાર્ટ એટેકથી મૃત્યું થતાં અમીન પરિવારના માથે જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

