જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ મળ્યું નથી. અસરગ્રસ્ત ખેડુતોએ વળતર બાબતે કરેલાં કેસ સંદર્ભમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢતાં જંબુસર ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની નર્મદા યોજના નહેર વિભાગ નંબર 15ની કચેરીના ફર્નિચરને જપ્ત કરી લેવામાં આવ્યું હતું.
ભડકોદ્રા અને કનસાગર સહિતના અનેક ગામડાઓમાંથી સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય તથા માઇનોર કેનાલ પસાર થાય છે. વર્ષ 2004થી આ બંને ગામના 25 જેટલા ખેડુતો વળતર માટે ધરમ ધકકા ખાઇ રહયાં છે. ખેડુતોના જણાવ્યા અનુસાર 2012 અને 2017માં કોર્ટનો આદેશ હોવા છતાં આજદિન સુધી તેમને વળતરની રકમ મળી નથી.આશરે 8 કરોડ રૂપિયાની રકમ લેવાની નીકળે છે.

જંબુસરની કોર્ટે ખેડુતોને વળતર નહિ ચુકવનારા સરદાર સરોવર નર્મદા નિગમની મિલ્કતો જપ્ત કરી લેવા માટે આદેશ કર્યો હતો. સોમવારના રોજ કોર્ટના આદેશથી બેલીમ તથા ખેડુતો જંબુસરની ડાભા ચોકડી પાસે આવેલી નર્મદા યોજના નહેર વિભાગ નંબર –15ની કચેરી ખાતેથી સામાનની જપ્તી કરવામાં આવી હતી.

