હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસમાં રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે તેમજ તહેવારમાં લોકો ફરવા નીકળતા હોવાથી ભીડભાડ થવાની સંભાવના વધી છે તો બીજી તરફ કોરોનાએ પણ માથું ઉચક્યું છે ત્યારે મોરબી જીલ્લામાં આજે સોમવારે કોરોનાના એકસાથે 22 નવા કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા સતાવાર જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સોમવારે મોરબી જીલ્લામાં 567 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 22 લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાં તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 11 અને મોરબીના શહેરી વિસ્તારમાં 5 લોકોના પોઝિટિવ કેસ આવ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર શહેરી વિસ્તારમાં 1, હળવદ શહેરી વિસ્તારમાં 1 અને ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ નોંધાયા હતા તો બીજી તરફ આજે મોરબીના 7, હળવદના 3 અને ટંકારાના 2 મળી કુલ 12 દર્દી રિકવર થયા છે. આજે કોરોનાના નવા 22 કેસ સામે 12 દર્દીઓ રિકવર થતા મોરબી જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 111 થઈ છે.

