લમ્પી વાઇરસને પગલે રાજ્યમાં ઠેર ઠેર પશુઓના મૃત્યુ થઇ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે સૌરાષ્ટ્રમાં તંત્ર દ્વારા સત્તાવાર રીતે લમ્પીને કારણે બુધવાર સુધીમાં 1609 પશુનાં મોત સામે 8,80,725 પશુમાં રસીકરણ કરાયું હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે. જ્યારે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીને એવો સવાલ કર્યો હતો કે, લમ્પી થયા બાદ અત્યાર સુધીમાં કેટલી ગાયો સાજી થઇ ? આ સવાલનો જવાબ એની પાસે ન હતો.
લોલમલોલ: લમ્પી વાયરસ સામે પગલાં નામે ચાલતી રાજકોટ તંત્રની લોલમલોલ ઉઘાડી પડી ગઈ છે. તંત્ર એ હજુ સુધી આ પ્રકારનો કોઇ સચોટ સરવે જ નથી કરયો, સાઇન્ટિફિકલી લમ્પીથી માત્ર એકથી દોઢ ટકો જ પશુમાં મરવાની શક્યતા હોય છે, બાકી 98 ટકા પશુ સાજા થઇ જતા હોય છે, તમે રિપોર્ટમાંથી અસરગ્રસ્ત પશુની સંખ્યામાંથી મૃતક પશુની સંખ્યા બાદ કરી નાખો, એટલે જે આંકડો આવે તે પશુ સાજા થઇ ગયા ગણવાના. આવો અધિકારીનો જવાબ સ્થિતિ સામે થીંગડું મારવા બરોબર છે. હાલાર પંથકમાં 2જી મેએ લમ્પીનો પ્રથમ કેસ નોંધાયો તેને 94 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં હાલતમાં કોઈ ફેર નથી પડ્યો.
મોટા દાવા: રાજકોટ જિલ્લાનું પશુપાલન તંત્ર 597થી વધુ ગામડાઓ ધરાવતા રાજકોટ જિલ્લામાં દૈનિક લમ્પીથી માત્ર એક કે બે જ પશુ મોતને ભેટી રહ્યા હોવાના દાવા કરે છે પણ હકીકત એનાથી સાવ જુદી છે. રાજકોટ જિલ્લામાં લમ્પીનો પહેલો કેસ આવ્યાને ત્રણ મહિના થયા હોવા છતાં કામગીરીમાં ગોકળગાય જેવી સ્થિતિ છે. કેટલી સંખ્યામાં ગાયો સાજી થઇ ગઇ તેનો પણ સત્તાવાર આંકડો અધિકારીને પણ ખબર નથી.

