આસામના જોરહાટથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટ ટેક-ઓફ દરમિયાન રનવે પરથી સરકી ગઈ અને તેના પૈડા કાદવવાળી જમીનમાં ફસાઈ ગયા. એરલાઈને શુક્રવારે આ જાણકારી આપી. આ ઘટના ગુરુવારે ત્યારે બની જ્યારે વિમાન 98 મુસાફરોને લઈને ટેકઓફ કરવાનું હતું. જોકે આ ઘટના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.
એક નિવેદનમાં, એરલાઈને જણાવ્યું હતું કે, “જોરહાટથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-757 પ્રસ્થાન દરમિયાન રનવે પરથી ઉતરી ગઈ હતી. પાયલોટને જાણ કરવામાં આવી હતી કે મુખ્ય પૈડામાંથી એક આંશિક રીતે રસ્તાને અડીને આવેલા ઘાસના મેદાનમાં ખસી ગયું છે.
પાયલોટે જરૂરી પ્રક્રિયાઓ અનુસરીને સાવચેતીના ભાગરૂપે વિમાનને રોક્યું અને તપાસ કરવા જણાવ્યું. ઈન્ડિગોના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિમાનને તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ અસામાન્ય સ્થિતિ મળી આવી ન હતી. સાવચેતીના ભાગરૂપે, મેન્ટેનન્સ ટીમે સઘન તપાસ શરૂ કરી. ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટ જોરહાટમાં ટેકનિકલ સમસ્યાને કારણે કેટલાંક કલાકો સુધી રોકાયા બાદ રદ કરવામાં આવી હતી. “વિમાનમાં કેટલીક તકનીકી સમસ્યા હતી. તેમાં 98 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો નીચે ઉતરી ગયા છે અને સુરક્ષિત છે. તેઓ ટર્મિનલ બિલ્ડિંગ પર રાહ જોઈ રહ્યા હતા અને લગભગ 8.15 વાગ્યે ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
આ પહેલા એક સ્થાનિક પત્રકારે ટ્વિટર પર એક તસવીર અપલોડ કરી હતી જેમાં એક પ્લેન રનવે પરથી સરકી ગયું હતું અને તેના બે પૈડા ઘાસના મેદાનમાં ફસાઈ ગયા હતા. ઈન્ડિગોને ટેગ કરતાં પત્રકારે પોસ્ટ કર્યું, ‘ગુવાહાટી કોલકાતા ઈન્ડિગો ફ્લાઈટ 6F 757 (6E 757) જોરહાટ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગઈ અને કાદવવાળી જમીનમાં ફસાઈ ગઈ. ફ્લાઇટ બપોરે 2.20 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ ઘટના બાદ ફ્લાઈટ મોડી પડી હતી.

