મોરબી જીલ્લામાં મેઘરાજા મહેરબાન થતા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની હાલત કફોળી બની છે. લોટ પાણીને લાકડાં સમાન ભષ્ટ્રાચારી કામોની જાણે મેઘરાજાએ પોલ ખોલી નાખી હોય તેવું મોરબી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાના દ્રશ્યો જોતા લાગી આવે છે ત્યારે મોરબીના વાવડી પાટીયાથી નારણકા ગામ સુધીના રોડની બિસ્માર હાલત હોવાના કારણે સરપંચોએ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને ગત 24 માર્ચના રોજ લેખિત રજુઆત કરી હતી ત્યારે 28 માર્ચના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયાને રોડ રીપેરીંગ બાબતે રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈ રોડના પેચવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
આ રોડના પેચવર્ક કામ દરમિયાન મોરબી જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયા, તાલુકા પંચાયત સભ્યો પરેશભાઈ પડસુંબિયા, ભૂપતભાઈ સવસેટા સહિતનાઓએ રોડના કામનું નિરક્ષણ પણ કર્યું હતું જે રોડના પેચવર્કના કામને માત્ર બે મહિના જેટલો સમય થયો’ને રોડની હાલત કફોડી બની ગઈ છે. ઠેર-ઠેર ઉંડા ખાડાઓ પડી જવાના કારણે અકસ્માતના બનાવો બને તેવી પરિસ્થતિ સર્જાઈ છે જોકે પહેલા વરસાદમાં જ રોડના પેચવર્કના કામની પોલ ખુલી ગઈ હતી અને ડામરની જગ્યાએ ચીકણી માટી દેખાવા લાગતા વાહનચાલકોને વાહનો સ્લીપ થઈ જવાનો ભય સતાવ્યા કરે છે.
મોરબી જીલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબિયા સહિતનાઓએ રોડના પેચવર્કનું કામનું નિરીક્ષણ કર્યું તે સમયે રોડમાં ક્યાં પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તે ધ્યાનમાં નહીં લીધુ હોય ? જોકે વાવડીના પાટીયાથી નારણકા સુધીના રોડની મરામત કરવા રજૂઆત થઈ હતી તો માત્ર વનાળીયા સુધી જ કેમ રોડનું પેચવર્ક કામ હાથ ધરાયું તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યા છે સાથે જ ગ્રામજનોને રાજી રાખવા પુરતો જ ડામર પાથરવામાં આવ્યો હશે તેવા પણ વેધક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ફરી આ રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


